Class 8 Social Science Chapter 15 Swadhyay (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 15 સ્વાધ્યાય)

Class 8 Social Science Chapter 15 Swadhyay
Class 8 Social Science Chapter 15 Swadhyay

Class 8 Social Science Chapter 15 Swadhyay

Class 8 Social Science Chapter 15 Swadhyay, Std 8 Social Science Chapter 15 Swadhyay, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 15 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 15 સ્વાધ્યાય.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 15ભારતીય બંધારણ
સત્ર :પ્રથમ
Class 8 Social Science Chapter 15 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1.  ખાલી જગ્યા પૂરો :

(1) બંધારણની શરૂઆત……….. થી થાય છે.

જવાબ : આમુખ

(2) બંધારણસભાના અધ્યક્ષ………..હતા.

જવાબ : ડૉ. રાજેન્દ્રપ્રસાદ

(3) બંધારણસભામાં કુલ..……….સભ્યો હતા.

જવાબ : 389

(4) બંધારણમાં…………..શાસન-વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે.

જવાબ : સંઘીય

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં લખો :

(1) બંધારણનો અર્થ જણાવો.

ઉત્તર : કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને “બંધારણ” કહેવામાં આવે છે.

(2) બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે?

ઉત્તર : ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.

(3) લોકશાહી એટલે શું?

ઉત્તર : લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. પ્રજાની સત્તા કે ચલણવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે.

(4) બંધારણ ક્યારે અમલમાં આવ્યું?

ઉત્તર : 26 જાન્યુઆરી, 1950ના દિવસથી બંધારણ અમલમાં આવ્યું.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો :

(1) બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો.

ઉત્તર : આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોને વાચા આપતું આમુખ ભારતના બંધારણની આગવી વિશેષતા છે. ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે :

(1) લોકશાહી : ભારતે લોકશાહી શાસનપદ્ધતિ અપનાવી છે. લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે : ‘લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન’, પ્રજાની સત્તા કે પ્રભુત્વવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. આપણા દેશની લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે. તેમાં 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્તમતદાન પદ્ધતિ વડે પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે.

દેશનો કોઈ પણ નાગરિક ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે. લોકોએ ચૂંટેલા સભ્યો (પ્રતિનિધિઓ) પાંચ વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસનતંત્ર ચલાવે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્ત્વનું પાસું છે. લોકશાહીમાં દરેક નાગરિકને વાણી, વિચાર, અભિવ્યક્તિ અને પોતાની ઇચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે.

(2) બિનસાંપ્રદાયિકતા : ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે ભારતનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. ભારતના બંધારણે દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓ ભોગવવાની ખાતરી આપી છે. એ ખાતરીના આધારે દરેક નાગરિકને પોતપોતાનો કે પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે ધાર્મિક માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા મળેલી છે. તેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકે નહિ. બંધારણની જોગવાઈ મુજબ ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ રહે છે.

(3) પ્રજાસત્તાક : પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજા અર્થાત લોકોના હાથમાં સત્તા હોય એવું રાષ્ટ્ર. તેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રના વડા, રાષ્ટ્રપ્રમુખનું સ્થાન રાજાશાહીની જેમ વંશપરંપરાગત હોતું નથી, પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન દ્વારા ચૂંટાયેલા હોય છે. પ્રજાસત્તાક લોકશાહી શાસનતંત્રમાં દેશના બધા જ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે. ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી, નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. આમ, ભારત પ્રજાસત્તાક દેશ છે.

(4) સંઘરાજ્ય : ભારત એક સંઘરાજ્ય (Union of States) છે. ભારત તેનાં એકમ-ઘટક રાજ્યોનો બનેલો એક ‘સંઘ’ છે. ભારતદેશ ઉપખંડ જેટલી વિશાળતા અને વિવિધતા ધરાવે છે. તેથી એક જ સ્થળેથી – કેન્દ્રમાંથી દેશનો વહીવટ કરવો ખૂબ મુશ્કેલભર્યું બની જાય. એટલે આપણા બંધારણમાં સંઘીય શાસનવ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે.

સંધીય શાસનવ્યવસ્થામાં આ બે પ્રકારની સરકારની રચના કરવામાં આવે છે : 1. સંઘસરકા૨ અને 2. રાજ્ય સરકાર.  બંને સરકારો વચ્ચે કાર્યક્ષેત્રો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બંને સરકારોનાં કાર્યો અને સત્તાઓને સંધયાદી, રાજ્યયાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ યાદીઓમાં વહેંચવામાં આવ્યાં છે. દેશનાં મહત્ત્વનાં કાર્યો અને સત્તાઓ સંઘસરકારને સોંપવામાં આવ્યાં છે. સંધસરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

(5) મૂળભૂત હકો અને ફરજો : આપણા દેશની બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકો અને ફરજોને સ્પષ્ટપણે દર્શાવ્યાં છે.

(2) કોઈ પણ બે મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો.

ઉત્તર : નાગરિકોના બે મૂળભૂત હકો

(1) સમાનતાનો હક : સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે. આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગાર, હોદાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે. દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તેને સમાનતાના હકનો ભંગ ગણાશે નહિ. આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણસંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે. અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જાતા ઇલકાબો અને ખિતાબો નાબૂદ કરવામાં આવ્યા છે.

(2) સ્વતંત્રતાનો હક : સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ છે. સ્વતંત્રતાના હક વિનાની લોકશાહીની કલ્પના થઈ શકે નહિ. લોકશાહીના સફળ સંચાલન માટે સ્વતંત્રતા જરૂરી છે. દેશના પ્રત્યેક નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે અને અભિવ્યક્તિ કરવા માટે સ્વતંત્રતાનો હક અનિવાર્ય છે. આ હક દ્વારા ભારતીય નાગરિકોને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે.

સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકોને આ પ્રમાણે છ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે : (1) વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા (2)  શાંતિપૂર્વક, શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા (3) મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા (4) ભારતના સમગ્ર ક્ષેત્રમાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા (5) ભારતના સમગ્ર ક્ષેત્રના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા (6) કોઈ પણ વ્યવસાય, કામકાજ, વેપાર, ધંધો અને રોજગારની સ્વતંત્રતા.

(3) કોઈ પણ ચાર મૂળભૂત ફરજો જણાવો.

ઉત્તર : ભારતના બંધારણમાં નાગરિકોની નીચેની ફરજો સમાવિષ્ટ કરવામાં આવી છે :

(1) બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું. (2) બંધારણમાં વ્યક્ત થયેલા આદશ તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો – ગૌરવ જાળવવું. (3) સ્વાતંત્ર્યસંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને હૃદયમાં સ્થાપિત કરવા અને તેનું પાલન કરવું. (4) દેશનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેમનું રક્ષણ કરવું. (5) જરૂર પડે ત્યારે રાષ્ટ્રનું રક્ષણ કરવું અને રાષ્ટ્રની સેવા કરવા હંમેશાં તૈયાર રહેવું. (6) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક કે સાંપ્રદાયિક ભેદભાવોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ થાય તેવાં કામો કરવાં. (7) સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો. (8) રાષ્ટ્રના સમૃદ્ધ, સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. (9) જંગલો, તળાવો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું અને તેમાં સુધારો થાય એવા પ્રયત્નો કરવા. બધા જીવો પ્રત્યે દયા દાખવવી. (10) વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તેમજ માનવવાદ અને સંશોધનવૃત્તિ વિકસાવવાં. (11) જાહેર મિલકતોનું રક્ષણ કરવું. (12) હિંસાનો ત્યાગ કરવો. (13) દેશ પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતો રહે એ માટે વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રવૃત્તિનાં બધાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરવા પ્રયત્નો કરવા. (14) માતાપિતાએ અથવા વાલીએ 6થી 14 વર્ષ સુધીની ઉંમરના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી.

પ્રશ્ન 4. વિચારો અને લખો :

(1) જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય?

ઉત્તર : જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો… (1) નાગરિકોના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે નહિ. (2) નાગરિકો સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવી શકે નહિ. (3) માનવઅધિકારો જોખમાઈ જાય. (4) લોકશાહીનું અસ્તિત્વ ભયમાં મુકાઈ જાય. (5) દેશમાં સરમુખત્યારશાહીનાં લક્ષણો જોવા મળે. (6) કાયદાનું પાલન ન થતાં સમાજમાં બળિયાના બે ભાગ જેવી સ્થિતિનું નિર્માણ થાય. સમાજમાં Right is might અર્થાત્ મારે તેની તલવાર કે હાંકે તેની ભેંસ જેવી સ્થિતિ સર્જાય.

(2) તમામ મૂળભૂત ફરજો – વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય?

ઉત્તર : (1) વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવ ઉત્પન્ન કરવાં. (2) શાળાના દરેક વર્ગમાં રોજ એક મૂળભૂત ફરજનું સામૂહિક પઠન કરાવવું. (3) શાળાની પ્રાર્થનાસભામાં બધા વિદ્યાર્થીઓને સામૂહિક પઠન કરાવવું. (4) વિદ્યાર્થીઓને મૂળભૂત ફરજો કંઠસ્થ કરાવવી. (5) મૂળભૂત ફરજોને વિદ્યાર્થીઓ સમક્ષ સંવાદરૂપે અભિવ્યક્ત કરાવવી.

(3) 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઊજવવામાં આવે છે?

ઉત્તર : બંધારણસભાએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણ તૈયાર કર્યું હતું. એ બંધારણને બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના રોજ પસાર કર્યું અથવું એ બંધારણનો 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકાર કર્યો. આથી દર વર્ષે 26 નવેમ્બરના દિવસને ‘બંધારણ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.

Also Read :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 2 સ્વાધ્યાય